CLICK HERE FOR BLOGGER TEMPLATES AND MYSPACE LAYOUTS »

Tuesday 15 December 2009

વર્તુળ..

(માણસ એના જીવન માં સુખ અને દુખ ની માયાજાળ માં ગોળ ગોળ ફર્યા કરતો હોય છે. મારા માનવા પ્રમાણે માણસ જીવન અને વર્તુળ ઘણી ખરી રીતે એકબીજા જોડે સંકળાયેલા હોય છે, અને એ કારણે જ મેં ગણિતના વર્તુળ ને માનસ જીવન સાથે સરખાવવાની કોશિશ કરી છે. આશા રાખું કે મારી આ રચના તમને પસંદ પડે.)

વર્તુળ માં માણસ "આજ " ફસાતો જાય છે..
અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..

ગોળ ફરતો, સફર કાપતો, મંઝીલની શોધમાં,
સમય એનો ફક્ત પરીઘે ઘસડાતો જાય છે..

નથી ખૂણો કે નથી રેખા,
સંબંધોના તાર, પણ એ છેદતો જાય છે..

મધ્યબિંદુ એ પહોચવાની ધારે,
ત્રિજ્યા છોડી જીવા એ ભાખતો જાય છે..

નથી એકપણ અંશ શક્યતાનો,
છતાં મનનો વ્યાસ માપતો,
ઉકેલ એ અવળા શોધતો જાય છે..

π ની અચલતા વચ્ચે, ત્રિજ્યાનો વર્ગ કરી,
જીવનનું ક્ષેત્રફળ એ કાઢતો જાય છે..

લઘુવૃતાંશ ને ગુરુવૃતાંશ ની આંટીઘુટીમાં,
લાગણીના સ્પર્શકનું મૂલ્ય આંકતો જાય છે..

નથી વ્યાસ જેટલા કર્ણની શક્યતા,
કે પ્રણય નો કાટખૂણો રચાય,
કોણમાપક લઇ ખાલી ચાંપ દોરતો જાય છે..

પ્રમેયો વચ્ચે અટવાયેલા મૃત્યુની સાબિતી,
બસ એ પૂર્વધારણાઓ ને સહારે લખતો જાય છે..

અણીયામાં પેન્સિલ રાખી એ વર્તુળ ઘુટતો જાય છે..
વર્તુળ માં માણસ "આજ" ફસાતો જાય છે..

ઝેનિથ સુરતી, ૧૫ ડીસેમ્બર ૨૦૦૯

0 comments: